સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ સાત, પણ સૂર એકઃ પાકિસ્તાન આતંકીઓનું આશ્રયદાતા, આતંકીઓએ કિંમત ચૂકવવી જ પડશે

Wednesday 28th May 2025 06:09 EDT
 
 

નવી દિલ્હીઃ આતંક અને આતંકવાદીઓના પાલનહાર પાકિસ્તાનના કરતૂતોને ખૂલ્લા પાડવા અને પહલગામ આતંકી હુમલા પછી ભારતે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’થી દુનિયાને વાકેફ કરવાના મિશન સાથે ભારતીય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું છે. સર્વપક્ષીય સંસદ સભ્યોના સાત પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વરિષ્ઠ નેતાઓ સંભાળી રહ્યા છે.
• અમેરિકાઃ ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આયોજિત કરેલા આવા જ એક વાર્તાલાપમાં વરિષ્ઠ કોંગ્રેસી સાંસદ શશી થરૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પહલગામ હુમલા પછી ભારતે નવો નિયમ બનાવ્યો છે કે આતંકવાદ મુદ્દે કોઇ બાંધછોડ નહીં જ થાય. પાકિસ્તાનમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ સરહદ પાર કરી ભારતીય નાગરિકોને હત્યા કરી શકશે તો આવા આતંકી અને તેના સમર્થકોએ ભારે કિંમત ચુકવવી પડશે. ભારતને સ્વ-બચાવનો અધિકાર છે અને ભારતે ‘ઓપરેશન સિંદૂર’ થકી તે અધિકારનો ઉપયોગ કર્યો છે. શશી થરૂર ગુયાના, પનામા, કોલંબિયા, બ્રાઝિલ અને અમેરિકામાં ભારતીય સાંસદોના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
• સાઉથ કોરિયાઃ જનતા દળ-યુના રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં સંસદીય પ્રતિનિધિ મંડળ પાટનગર સિઓલમાં ઇન્ડિયન ડાયસ્પોરાને મળ્યું હતું તથા તેમને ‘ઓપરેશન સિંદૂર’ અંગેની માહિતી આપી હતી.
• બહેરિનઃ ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે બહેરિનની શૂરા કાઉન્સિલના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી અને આતંકવાદ સામે ભારતની કાર્યવાહીનો પુનરુચ્ચાર કર્યો હતો. સંસદસભ્યો નાયબ વડા પ્રધાન શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફાને પણ મળ્યાં હતાં અને સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ભારતનો સંકલ્પ દોહરાવ્યો હતો. સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આતંકીઓએ ભારતમાં ઘૂસીને ધર્મના નામે લોકોની હત્યા કરી છે. ઈસ્લામ આતંકવાદની વિરુદ્ધમાં છે. પાકિસ્તાન ઇસ્લામ ધર્મને બદનામ કરી રહ્યું છે. વિશ્વનાં તમામ દેશોમાં જેટલા આતંકીઓ છે તેનાં કરતા સૌથી વધારે આતંકીઓ પાકિસ્તાનમાં શરણ લઈને છુપાઈને બેઠા છે તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે જણાવ્યું હતું.
• જાપાનઃ પ્રતિનિધિ મંડળના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના યુવા સાંસદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ નામે હડકાયો કૂતરો પાળ્યો છે. સાંસદોએ આતંકવિરોધી જંગમાં ભારતનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.
• કતારઃ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળ રવિવારે દોહામાં કતારની શૂરા કાઉન્સિલને મળ્યું હતું. આ મુલાકાત પછી સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે કતાર સંસદના તમામ સભ્યો ભારતના પડખે ઊભા રહ્યાં હતાં અને કહ્યું હતું કે આતંકવાદને મૂળમાંથી જ ઉખેડી નાખવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter