અમદાવાદઃ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટના મુસાફરોને ગયા શનિવારે કડવો અનુભવ થયો હતો. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય કરતાં સાડા ચાર કલાક મોડી ઉપડી હતી. એક અહેવાલ અનુસાર પાઇલટ ઉપલબ્ધ નહીં હોવાથી ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થયો હતો. અમદાવાદ-લંડનની એર ઈન્ડિયા ફ્લાઇટ (એઆઇ 171) બપોરે એક કલાકે રવાના થતી હોય છે. આથી મુસાફરો સવારે 8ની આસપાસ એરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, 10-30 સુધી બોર્ડિંગ પ્રક્રિયા નહીં શરૂ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં તેમને પાઇલટ બીમાર હોવાથી ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થઇ રહ્યાનું કારણ જાણવા મળ્યું હતું. આખરે 3-15 કલાકે બોર્ડિંગ થયું હતું અને 4-15 કલાકે ફ્લાઇટ લંડન જવા રવાના થઇ હતી. ફ્લાઇટમાં 15 જેટલા સિનીયર સિટીઝન અને 18 જેટલા બાળકો હતા. ફ્લાઇટ ઉપડવામાં વિલંબથી તેમને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.