અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

Thursday 12th June 2025 07:58 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને મોદી સરકારના વરિષ્ઠ પ્રધાન સી.આર. પાટિલે વિમાન દુર્ઘટનામાં વિજયભાઇનું પણ નિધન થયાની વાતને સમર્થન આપતાં શોકની લાગણી વ્યક્ત કરી હતી.

રાજકોટના વતની વિજયભાઇના પત્ની અંજલીબહેન હાલ લંડનમાં હોવાનું તેમના પડોશીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિજયભાઇના દીકરી રાધિકા લંડનમાં વસવાટ કરે છે. એક ટીવી અહેવાલમાં વિજયભાઇના રાજકોટ સ્થિત પડોશીઓને એવું કહેતા દર્શાવાયા હતા કે વિજયભાઇ થોડાક દિવસ લંડનમાં રોકાણ બાદ પત્ની અંજલિબહેન સાથે પરત ફરવાના હતા.

વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા ત્યારે શરૂ શરૂમાં વિજયભાઇ આ જ ફ્લાઇટમાં પ્રવાસ કરતા હતા કે કેમ તે અંગે વિરોધાભાસી અહેવાલો પ્રકાશિત થયા હતા. જોકે બાદમાં આ જ કમનસીબ પ્લેનના એક મહિલા પ્રવાસીએ પોસ્ટ કરેલી સેલ્ફી પરથી સ્પષ્ટ થયું હતું કે વિજયભાઇ આ જ ફ્લાઇટમાં મુસાફરી કરતા હતા. ઇન-ફ્લાઇટ તસવીરમાં વિજયભાઇ મેગેઝિન વાંચતા જોવા મળે છે.

વિજયભાઇએ ઓગસ્ટ 2016થી સપ્ટેમ્બર 2021માં રાજીનામું આપ્યું ત્યાં સુધી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના શાસનકાળમાં ગુજરાતે નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે વિજયભાઇએ પક્ષના મોવડી મંડળના આદેશથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં તેમને રાષ્ટ્રીય સ્તરે ભાજપના પ્રચાર-પ્રસાર માટે મહત્ત્વની જવાબદારી સોંપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter