વડા પ્રધાન મોદીનો વિકાસમંત્રઃ વિઝન + સ્વપ્ન + સંકલ્પ + સામર્થ્ય 08/03/2017 5:46 am Mukesh Patel વિકાસ માટે વિઝન જોઇએ, સ્વપ્ન જોઇએ, સંકલ્પ પણ જોઇએ અને સામર્થ્ય પણ જોઇએ. આ બધું હોય તો સિદ્ધિ આપોઆપ મળે છે. મંગળવારે બપોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં નવનિર્મિત કેબલ સ્ટડ બ્રિજના લોકાર્પણ દરમિયાન સરકારની સિદ્ધિઓ વર્ણવતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા. ગુજરાત પ્રવાસના પ્રારંભે વડા પ્રધાને દહેજમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ઓએનજીસી) દ્વારા નિર્મિત એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અહીં થોડોક સમય રોકાણ કર્યા બાદ તેઓ દેશના સૌથી લાંબા કેબલ સ્ટડ બ્રિજનું લોકાર્પણ કરવા ભરૂચ પહોંચ્યા હતા. ૩૭૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા બ્રિજને રિમોટ કન્ટ્રોલ વડે ખૂલ્લો મૂકતા વડા પ્રધાને મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યના આઠ હાઇ-વેને નેશનલ હાઇ-વેમાં પરિવર્તિત કરાશે. આ માટેની યોજનાને અંતિમ ઓપ અપાઇ ગયો છે.