વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક ખાઈ જવાય તેવા છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન પૃથ્વી પરથી ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટર અથવા તો બાંગલાદેશ જેટલા ક્ષેત્રફળમાં દાવાનળ, કુદરતી આફતો, જમીનના ધોવાણ તેમજ વૃક્ષોના કાપવા સહિતના કારણોસર ટ્રોપિકલ જંગલોનો નાશ થયો હતો.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ભારત આર્થિક વિકાસની દૃષ્ટિએ ભલે આગેકૂચ કરી રહ્યું હોય પરંતુ, સ્ત્રીઓની સલામતીના મામલે વિશ્વમાં સૌથી અસુરક્ષિત દેશ ગણાય છે. થોમસન રોઈટર્સ ફાઉન્ડેશનના આ ચોંકાવનારા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર બળાત્કાર, યૌનશોષણ, અત્યાચાર, અપહરણ, દેહવ્યાપાર અને હત્યા સહિત નારીવિરોધી અપરાધો સહિત નારીસુરક્ષાના મામલે વિશ્વના અસલામત દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. કરમની કઠણાઈ તો એ કહેવાય કે ભારતને મહિલાઓ માટે સીરિયા, અફઘાનિસ્તાન તેમજ પડોશી દેશ પાકિસ્તાનની સરખામણીએ પણ વધુ ખતરનાક ગણાવાયું છે. આ સર્વેમાં એક માત્ર પશ્ચિમી દેશ અમેરિકા ૧૦મા ક્રમે છે. આજથી સાત વર્ષ અગાઉ ૨૦૧૧માં કરાયેલાં સર્વેક્ષણમાં અફઘાનિસ્તાન, કોંગો, પાકિસ્તાન, ભારત અને સોમાલિયા મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ ગણાયા હતા, જેમાં ભારત સ્ત્રીઓની અસુરક્ષાના મામલે ચોથા સ્થાને હતું તેમાંથી સુધારો થવાના બદલે પ્રથમ ક્રમે આવી ગયું છે.
દરેક દેશને પોતાના હિતમાં નિર્ણયો લેવાની છૂટ હોય છે પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળની યુએસ સરકાર આમ માનતી નથી. અમેરિકા પોતાના હિતોને જ સર્વોપરી ગણે છે અને દુનિયાના દેશોને તે આદેશ આપી શકે છે તેમ માને છે. તાજેતરમાં જ પોતાના ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવા ટ્રમ્પે વેપારયુદ્ધ છેડ્યું હતું અને હવે ઈરાન સાથે ઓઈલની ખરીદીનો વેપાર કરનારા ભારત અને ચીન સહિતના દેશો પર આકરા પ્રતિબંધ લાદવાની તેમણે જાહેરાત કરી છે. આ સાથે ટ્રમ્પે અમેરિકી ઉત્પાદનોની આયાત પર તાજેતરમાં લગાવેલી ૧૦૦ ટકા ડયૂટીને પણ ભારત દૂર કરે તેવી માગણી કરી છે. વર્તમાન વિશ્વમાં દેશોએ આર્થિક વિકાસ સાધવો હોય તો તેની મુખ્ય ચાવી વેપારમાં જ રહેલી છે. ભારત, બ્રિટન અને ચીન સહિતના દેશો આ બરાબર સમજે છે. બ્રેક્ઝિટ પછી તો બ્રિટનને ઈયુ સિવાયના દેશો સાથે બહોળાં પ્રમાણમાં વેપાર કરવાની ફરજ પડવાની જ છે.
વર્તમાન વિશ્વમાં આર્થિક વિકાસ સાધવો હોય તો વિવાદો ભૂલીને વેપાર તરફ ધ્યાન આપવું તે એકમાત્ર મુદ્દો બની રહ્યો છે ત્યારે અમેરિકી નેતૃત્વમાં વેપારયુદ્ધે વિશ્વ માટે ભારે ચિંતા જન્માવી છે. બે મહાકાય અર્થતંત્રો અમેરિકા અને ચીને તેમના દ્વારા એકબીજા દેશમાંથી આયાત કરાતા ઉત્પાદનો પરની આયાતજકાતમાં ભારે વધારો ઝીંક્યો છે. ભારતે પણ અમેરિકાથી આયાત કરાતી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં ભારે વધારો જાહેર કર્યો છે. અત્યાર સુધી આપણે એમ જ માનતા રહ્યા છીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ ‘પાણી’ એટલે કે જળના મુદ્દે ખેલાશે પરંતુ વર્તમાન પરિદૃશ્યમાં તો એમ લાગે છે કે વેપારના મુદ્દે વિશ્વયુદ્ધ ખેલાઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીરની અરાજકતાએ આખરે ભાજપ-પીડીપીના વિરોધાભાસી ગઠબંધનનો અંત આણ્યો છે. ભાજપ દ્વારા મહેબૂબા સરકારને સમર્થન પાછું ખેંચાતા જ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયું છે. પૂર્વ મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ દ્વારા સ્થાપિત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભાજપ વચ્ચે ત્રણ વર્ષ અગાઉ, ૨૦૧૫માં તકવાદી ગઠબંધન રચાયું હતું, જે હેઠળ મહેબૂબા મુફ્તીએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. ભાજપ-પીડીપીની વિચારધારા વિરોધાભાસી હોવા છતાં ભાજપે સમાધાનવૃત્તિ દર્શાવી સત્તામાં ભાગ મેળવ્યો હતો. જોકે, ગઠબંધનમાં તેની હાલત નાના ભાઈ કરતાં પણ બદતર હતી.
હજારો વિદેશી વિદ્યાર્થીઓ, તેઓ અંગ્રેજી ભાષામાં કુશળતા તથા પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું પુરવાર કર્યા વિના તેમજ તેમની પાસે પૂરતું નાણાકીય ભંડોળ ન હોય તો પણ હવે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભણવાનો લહાવો મેળવી શકશે. સારી વાત છે પરંતુ, આ લાભ ભારતીય વિદ્યાર્થીને નહીં મળે. થેરેસા મે સરકારના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ૧૫ જૂને ઈમિગ્રેશન નીતિમાં આ ફેરફારો પાર્લામેન્ટમાં રજૂ કરી ભારતીયોને આઘાતનો આંચકો આપ્યો છે.
ભારતમાં લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાઈ શકે છે ત્યારે કયો રાજકીય પક્ષ મિત્ર કે શત્રુ બની રહેશે તેનો તાગ કાઢવાની કવાયતો શરુ થઈ છે. સત્તારુપી છાસ લેવાં જવાનું હોય ત્યારે દોણી સંતાડવી તે પોસાય તેમ ન હોવાથી રાષ્ટ્રીય ગઠબંધનો અને પ્રાદેશિક પક્ષો પોતાના બળાબળનું માપ કાઢી રહ્યા છે. ભાજપના વડપણ હેઠળના એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળના યુપીએ દ્વારા નવા રાજકીય પક્ષોને પોતાના ગઠબંધનોમાં સામેલ કરી લોકસભા ચૂંટણીમાં જ્વલંત ફતેહ મેળવવાના મનસૂબાને તેજીલી ધાર કાઢવાનો દોર શરુ કરી દેવાયો છે. જો એનડીએ વિજય મેળવશે તો નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન બનશે તે નિશ્ચિત છે પરંતુ, વિપક્ષમાં તો રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ વડા પ્રધાન પદના દાવેદાર છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતમાં રાષ્ટ્રવાદનો સાચો અર્થ આપણી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સનાતન પરંપરા હોવાનું પ્રતિપાદિત કરીને વિવિધતામાં જ દેશની એકતા સમાયેલી હોવાનું સ્પષ્ટ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દીક્ષાંત પ્રવચન નિમિત્તે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આમંત્રિત કરવાના મુદ્દે તાજેતરમાં કરાયેલી કાગારોળ નિષ્ફળ પૂરવાર થઈ છે. આજન્મ કોંગ્રેસી પ્રણવદા આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપે તો કોંગ્રેસ પક્ષનું હીણું દેખાશે અને ભાજપને તો લાડુ આરોગવા મળશે તેવી વ્યર્થ ચિંતાઓને પ્રણવદાએ સાચી ઠરવા દીધી નથી. તેમણે પોતાની સ્પષ્ટવાદિતાથી ગાંધીજી અને જવાહરલાલ નેહરુના રાષ્ટ્રવાદી વિચારોનું સમર્થન કર્યું હતું. એટલું જ નહિ, સંઘના અગ્રણીઓ અને સભ્યોને સાચા રાષ્ટ્રવાદ અને દેશભક્તિના પાઠ પણ ભણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ કોઈ ધર્મ, ભાષા કે જાતિમાં સમાયેલો નથી કે તેના પર આધારિત નથી.
સાડા ચાર દસકાથી એટલે કે વર્ષ ૧૯૭૨થી દર વર્ષે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાય છે. વર્ષોના વીતવા સાથે આ દિવસનું મહત્ત્વ વધી રહ્યું છે કેમ કે લોકોની પર્યાવરણ જતન માટેની ખેવના ઘટી રહી છે. આ વખતે પર્યાવરણ દિનની ઉજવણીનું વૈશ્વિક યજમાન ભારત છે, અને સંકલ્પ છે વિશ્વને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરાવવાનો. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પૂરઝડપે પગપેસારો થઇ રહ્યો છે. સવારે હાથમાં લેવાતા ટૂથબ્રશથી માંડીને ભોજનનું પેકિંગ, ફોન, કમ્પ્યુટર બધામાં પ્લાસ્ટિક હાજરી છે. પરંતુ જે પોષતું તે મારતું ઉક્તિ અનુસાર આ જ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ઘાતક સાબિત થઇ રહ્યું છે. પ્લાસ્ટિકથી બનેલી મોટા ભાગની ચીજવસ્તુ કાં તો સંપૂર્ણ નષ્ટ નથી થતી કે તેને નાશ પામતાં ૫૦૦થી ૧૦૦૦ વર્ષ લાગે છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાવા લાગ્યું હતું કે ભાજપના ચૂંટણી ચાણક્યોએ એવો વ્યૂહ ઘડ્યો છે કે હવે રાજ્યમાં વિપક્ષ માટે પગદંડો જમાવવાનું મુશ્કેલ બની જશે. જોકે પેટા-ચૂંટણીના પરિણામોએ આ તારણને સદંતર ખોટું ઠેરવ્યું છે. પહેલાં ફૂલપુર અને ગોરખપુર લોકસભા બેઠકની પેટા-ચૂંટણીમાં પરાજય અને હવે કૈરાના લોકસભા તથા નૂરપુર વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં પક્ષના પરાજયે ભાજપની વ્યૂહરચના સામે સવાલોની હારમાળા સર્જી છે. ભાજપે આ પેટા-ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પક્ષના મોટા મોટા મહારથીઓએ અનેક જાહેર સભાઓ અને રેલીઓ યોજી હતી. મતદાનના આગલા દિવસે - માત્ર ૪૦ કિલોમીટરના અંતરે - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાનદાર રોડ શો યોજ્યો હતો, પરંતુ એકેય ચૂંટણીવ્યૂહ કામ ન આવ્યો. દેશમાં સૌથી વધુ ૮૦ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપનો આ સતત ત્રીજો પરાજય છે. આ પરિણામોએ ભાજપની નેતાગીરીની બોલતી બંધ કરી દીધી છે ને એનડીએના સાથી પક્ષોની નેતાગીરીને ‘બોલતી’ કરી દીધી છે. એનડીએમાં રહીને વિપક્ષની ભૂમિકા ભજવતી શિવ સેનાને તો ભાજપ પર પસ્તાળ પાડવાનો મોકો મળી ગયો છે. તો અત્યાર સુધી મોદી સરકારના નિર્ણયોનું સમર્થન કરતા રહેલા સાથી પક્ષો જનતા દળ (યુ) અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ બિહારને વિશેષ દરજ્જો આપવાની જૂની માગણી ફરી દોહરાવી છે.
