વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનની પ્રજાએ ૨૩ જૂનના રોજ યુરોપિયન યુનિયન (ઇયુ)માં રહેવું કે નહીં કે મુદ્દે ઐતિહાસિક જનમત આપ્યો. ૨૯ યુરોપિયન દેશોના બનેલા સંગઠન સાથેનો ૪૩ વર્ષ જૂનો નાતો નજીકના ભવિષ્યમાં તોડવાનું નક્કી થયું. ઇયુના સભ્ય દેશો, ઇયુની નબળાઇ-સબળાઇ, ‘બ્રેક્ઝિટ’ તરીકે ઓળખાવાતા આ છૂટાછેડાની અસરો સહિતના પાસાંઓની ભૂતકાળમાં આ જ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા હોવાથી તેનો ફેર ઉલ્લેખ ટાળી રહ્યો છું. (હા, કોઇ વાચકને આ બધી વાતો ફરી તાજી કરવી હોય તો તેઓ ‘ગુજરાત સમાચાર’ના ૨ જુલાઇ, ૨૦૧૬નો અંક રિફર કરી શકે છે.)
જીવંત પંથ
Block: Site: Subtree Block
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પર વિશ્વ સમસ્તની નજર મંડાયેલી હતી. અમેરિકાને વિસ્તારની દૃષ્ટિએ મૂલવવામાં આવે તો તે વિશ્વનો ત્રીજા કે ચોથા નંબરનો મોટો દેશ ગણાય, પણ વસ્તીની દૃષ્ટિએ જૂઓ તો તેની જનસંખ્યા માંડ ૩૨ કરોડ છે. આમ છતાં, વિવિધ પ્રકારના ઉત્પાદનો અને તેના વપરાશની વાત આવે છે ત્યારે અડધમાં રામ અને અડધમાં ગામ જેવો ઘાટ જોઇ શકાય છે. એક અંદાજ પ્રમાણે અત્યારે વિશ્વની વસ્તીનો આંકડો ૭૧૦ કરોડ છે, તેમાં અમેરિકાની વસ્તીના આંકડાને મૂલવો તો પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું ગણાય. આમ છતાં આ દેશ વિશ્વની એકમાત્ર મહાસત્તા હોવાનો દબદબો ધરાવે છે. તેની વગ છે, પ્રભાવ છે. દુનિયાના કુલ ઉત્પાદનના ૨૫ ટકાનો ઉપભોગ અમેરિકા કરે છે. આ તેની આર્થિક સજ્જતા, ક્ષમતા દર્શાવે છે. તદુપરાંત, દુનિયામાં જે કંઇ પણ મૂડીરોકાણ થાય છે, વિશ્વમાં જે કંઇ આર્થિક આદાનપ્રદાન થાય છે તેમાં પણ અમેરિકાનું પ્રભુત્વ જોવા મળે છે. અને તે પણ આજકાલનું નહીં, છેલ્લા ૧૦૦ વર્ષથી દેશનું અર્થતંત્ર તગડું રહ્યું છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ સુવિદિત છો કે મને હિન્દુ હોવાનું સદાસર્વદા ગૌરવ રહ્યું છે. સનાતન ધર્મની મારી સમજમાં હિન્દુ, જૈન, શીખો અને બૌદ્ધ - એમ ચારેય ધર્મપ્રણાલિનો મહદ અંશે સમાવેશ થાય છે. ચારેય ધર્મસંસ્કારમાં ૐ તથા અન્ય પરંપરાઓ સૈકાઓથી વિદ્યમાન છે તેનો કોણ ભલા ઇન્કાર કરી શકશે?! હા, અધ્યાત્મની ફિલસૂફીમાં અમુક પ્રકારનો તફાવત અવશ્ય જોઇ શકાય છે. પરંતુ આના એકથી વધુ કારણ હોય શકે. એક કારણ એવું પણ ખરું કે સનાતન હિન્દુ ધર્મનો ઉદભવ તો યુગો યુગોથી થયો છે. આઠ-દસ હજાર વર્ષથી સંગીન સ્વરૂપ આપણે જોઇ શકીએ છીએ. કાળક્રમે લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે બૌદ્ધ અને જૈન ધર્મ ઉદભવ્યા કે ૫૫૦ વર્ષ પૂર્વ શીખ ધર્મ પણ સ્થપાયો. આપણો જૂનાગઢી નરસૈંયો કહે છે તેમ - નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય... તેના જેવી આ વાતો છે. હિન્દુ મંદિરો, હિન્દુ સંસ્થાઓ, હિન્દુ સંગઠનો, પ્રસંગો, ઉત્સવો, મહોત્સવો કે તે બધામાં શક્ય બને તેટલા સામેલ થવામાં, શીશ નમાવવામાં સાચે જ મને ખૂબ ખૂબ પ્રાપ્ત થાય છે. જોકે શનિવારે (૫ નવેમ્બરે) લાભપાંચમના સપરમા પર્વે અનેકગણો લાભ મને પ્રાપ્ત થયો.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવલા વર્ષના પ્રારંભે નૂતન વર્ષાભિનંદન અને આપ સહુ તન-મન-ધનના સુખિયા બનો તેવી અંતઃકરણપૂર્વકની હાર્દિક શુભકામનાઓ.../પ્રભુ પ્રાર્થના...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવતા વર્ષે ભારતને આઝાદી મળ્યાને ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ભારત ભૂમિમાં વસતાં દેશબાંધવો - ભગિનીઓ તેમજ વ્યાપક સંખ્યામાં વિદેશમાં વસી રહેલા ભારતીયવંશજો આ ઐતિહાસિક અવસરની યથાયોગ્ય ઉજવણીના આયોજનમાં પ્રવૃત્ત થયા છે. આપ સહુનાં લાડીલા ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ પણ આ પ્રસંગની ઉજવણી માટે કેટલાક મહિનાઓથી સુવ્યવસ્થિત આયોજન કરી રહ્યા છે. યોગાનુયોગ આપના આ અખબારોને પણ આવતા વર્ષે ૪૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગે એક વિશેષાંક પ્રકાશિત કરવાનું આયોજન થયું છે, જે ભારતના ભવ્ય ભૂતકાળ, વર્તમાન અને અત્યંત આશાસ્પદ ભવિષ્યની ઝાંખી રજૂ કરતા વિદ્વાન લેખકોના અભ્યાસ અને સંશોધનપૂર્ણ લેખોથી વાંચનસમૃદ્ધ હશે. વિશેષાંકમાં બ્રિટનમાં વસતાં ગુજરાતીઓના અનુદાનને ઐતિહાસિક તથા વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આલેખવાનું આયોજન થઇ રહ્યું છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ અવારનવાર કોઇક વખત પ્રત્યક્ષ કે ફોન પર તો ક્યારેક વળી અન્ય કોઇના માધ્યમથી મળતા રહો છો. જો હું પારસી હોત તો અવશ્ય લખી નાખતઃ ‘ઘન્નો ઘન્નો આભાર...’ સાચે જ આપનો પ્રતિભાવ ખૂબ પ્રોત્સાહિત કરે છે. હમણાં જ જૂના અને આપ સહુના જાણીતા સાથીદાર શ્રી કિશોરભાઇ (કિશોરભાઇ પરમાર, એડવર્ટાઇઝીંગ મેનેજર)એ મને જણાવ્યું કે તાજેતરમાં તેમને મહેતાસાહેબ નામના એક સજ્જન મળી ગયા હતા. વડીલ ૮૫ વર્ષના છે. નિયમિત સ્વીમિંગ કરે છે. નવરાત્રિમાં દસેય દિવસ ગરબે ઘૂમી વળે છે. તેમણે કિશોરભાઇને જણાવ્યું કે ગુજરાત સમાચાર હાથમાં આવે કે તરત જ તેઓ જીવંત પંથ વાંચે છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વભરમાં વસતાં સનાતનધર્મીઓ આજે નવલા નવરાત્ર મહોત્સવનો નવમો દિવસ ઉજવી રહ્યા છે. શક્તિ આરાધના અને સાધનાના આ પાવન અવસરનું આવતીકાલે વિજયાદશમીના પર્વ સાથે સમાપન થશે. બ્રિટનમાં જ્યાં જ્યાં આપણા પાંચ-પચીસ પરિવારો વસે છે ત્યાં ત્યાં પણ સેંકડોની સંખ્યામાં - બલ્કે હવે તો હજારોની વાત કરીએ તો પણ અતિશ્યોક્તિ નથી - નાનામોટા પ્રમાણમાં શક્તિઆરાધનાના પ્રસંગો - રાસ-ગરબા, સ્તુતિગાન વગેરે યોજાઇ રહ્યા છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, જાજરમાન ઇતિહાસ ધરાવતા બ્રિટનના બીજાં મહિલા વડા પ્રધાન તરીકેનું બહુમાન મેળવનાર શ્રીમતી થેરેસા મેની સરખામણી અવારનવાર તેમના પુરોગામી માર્ગરેટ થેચર સાથે કરવામાં આવે છે. કોઇ બે નેતાઓની સરખામણી થાય તેમાં કશું અજૂગતું તો નથી, પરંતુ આવી સરખામણી કરનારાઓએ એ ન ભૂલવું જોઇએ કે દરેક વ્યક્તિની કાર્યપદ્ધતિ તેમજ સંજોગો અલગ હોય છે. આમ આ મહિલા નેતાઓ પણ પોતપોતાની જવાબદારી અદા કરવા માટે આગવો અભિગમ ધરાવે છે. હા, બન્ને વચ્ચે એક બાબતે અવશ્ય સામ્યતા છે, અને આ સમાનતા છે પારિવારિક બેકગ્રાઉન્ડ મુદ્દે. માર્ગરેટ થેચરની જેમ થેરેસા મે પણ અતિ સામાન્ય પરિવારમાંથી દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, લગભગ ૨૫-૩૦ વર્ષથી અમારા સ્થાનિક ફાર્મસિસ્ટ શ્રી પ્રદીપભાઇ કોટેચા અમને દવાઓ ઉપરાંત આરોગ્યના જતન-સંવર્ધન માટે ઉપયોગી સલાહ-સૂચન આપતા રહ્યા છે. જો આપણે દર્દી તરીકે ડોક્ટર્સ, ફાર્મસિસ્ટ્સ, જીપી કે પછી સર્જરી કે હોસ્પિટલમાં સેવા આપતા સભ્યો પ્રત્યે આદર-સન્માનભર્યું વર્તન દાખવીએ, ઉષ્માભર્યો નાતો જાળવીએ તો તેઓ સદૈવ આપણને સહયોગ આપવા તત્પર હોય છે તેવો મારો અનુભવ રહ્યો છે. આપણે જો આરોગ્ય સંબંધિત તેમના સલાહ-સૂચનોનું પાલન કરીએ તો સદાબહાર સ્વાસ્થ્ય પામવું મુશ્કેલ નથી. આજે ‘૦૮’ વર્ષની વયે પણ હું ટનાટન આરોગ્ય ધરાવું છું તેમાં આવા નિઃસ્વાર્થ હિતચિંતકોનું પ્રદાન લગારેય ઓછું નથી.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવસંસ્કૃતિના વિકાસ સાથે અનેક પ્રકારની ચીજોનો ઉદ્ભવ થયો. વેલણ-આડણીથી માંડીને મસમોટા મશીનો, વિશાળકાય પેઇન્ટીંગ, ભવ્યાતિભવ્ય શિલ્પો, મહાલય જેવા મંદીરો હોય કે પછી આધુનિક ટેક્નોલોજી યુગમાં આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગયેલા કમ્પ્યુટર્સ હોય કે મોબાઇલ ફોન... દરેકના ઉત્પાદનમાં આકૃતિ, ડિઝાઇનને પ્રથમ પગલું ગણી શકાય.
