આપ તાર્યા અમે તરવાના, સાચું રે જાણો...
પથિક તારા વિસામાના, દૂર દૂર આરા...
જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટે ના...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે (સોમવારે) વહેલી સવારે મારા ચિંતનના પિરિયડ દરમિયાન આ ત્રણ ગીતોની સ્મૃતિ થઇ આવી. ‘પથિક તારા વિસામાના...’ એ ગીત ૧૯૪૫-૪૬માં આણંદમાં મ્યુનિસિપાલિટીના મકાનની સમીપ ઉભેલી કોંગ્રેસ સમિતિની ભવ્ય ઇમારતમાં ચાલતા સંગીત વર્ગમાં સાંભળ્યું હતું. રજાઓમાં મારા માસા પૂ. તુલસીદાસને ત્યાં અમે જતા અને તેમના જયેષ્ઠ પુત્ર (મારા મોટા ભાઇ) ઇન્દુભાઇ હાર્મોનિયમ ઉપર ગીત લલકારતા હતા. હાર્મોનિયમ શીખવા મેં પણ - નિરર્થક - પ્રયત્ન કર્યો હતો. આ ગીતની કેટલીક પંક્તિઓ હજુ પણ અવારનવાર ગણગણું છું. તેમાંની ‘ન સીંચરે કોઇ મારગે તારા...’ પંક્તિમાંથી તો બહુ મોટીવેશન, પ્રેરણાબળ પ્રાપ્ત થાય છે. સ્વામીશ્રી કૃપાલાનંદજીની કૃતિ, તેમનું એક ભજન ‘જીવન પંથ ખૂટે ના મારો...’ એ તો લગ્ન બાદ સાંભળ્યું. અને મનમાં વસી ગયું.
