પાકિસ્તાન ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું ક્યારે શીખશે એ તો પરવરદિગાર જ કહી શકે, પણ અત્યારે તો તે વગરવિચારી નીતિરીતિ અને નિવેદનોના કારણે જગતતખતે હાંસીપાત્ર બની રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ની વાર્ષિક બેઠક હોય કે પછી અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાન કાશ્મીર રાગ આલાપવાનું ચૂકતો નથી. આદતવશ આ વખતેય તેણે યુએનના મંચ પરથી આક્ષેપ કર્યો કે ભારત કાશ્મીરમાં લોકોના સંઘર્ષને લોખંડી હાથે કચડી રહ્યો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરી રહ્યો છે. પોતાના આતંકી કરતૂતોને છુપાવવા માટે પાકિસ્તાન લાંબા સમયથી આવા નિરર્થક પ્રયાસ કરતો રહ્યો છે, અને ભારત દરેક વખતે યુએનમાં જ પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કરતો રહ્યો છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
ફરી એક વખત આતંકવાદીઓ લંડનમાં તેમનો બદઇરાદો પાર પાડવામાં આંશિક સફળ રહ્યા છે. આ હુમલામાં સદભાગ્યે કોઇ જાનહાનિ તો નથી થઇ, પરંતુ આ ષડયંત્રે લંડનના શાંત માહોલને ખરડી જરૂર નાખ્યો છે. સેન્ટ્રલ લંડન તરફ આવી રહેલી ડિસ્ટ્રીક્ટ લાઇનની ટ્યુબમાં થયેલા આ વિસ્ફોટમાં ૨૨ને વ્યક્તિને નાનીમોટી ઇજા થઇ છે. આ ઘટના પીકઅવર્સ ગણાતા સવારના એવા સમયે બની છે જ્યારે મહત્તમ લોકો કામના સ્થળે પહોંચવા ટ્યુબમાં પ્રવાસ કરતા હોય છે. બ્રિટનમાં છ માસમાં આ પાંચમો આતંકી હુમલો છે. છેલ્લા એક વર્ષથી આતંકવાદીઓએ યુરોપને નિશાન બનાવ્યું છે. બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, સ્વીડન, રશિયામાં આતંકી હુમલામાં અનેક માર્યા ગયા છે, સેંકડો ઘાયલ થયા છે. લોખંડી સુરક્ષા બંદોબસ્ત અને અત્યાધુનિક સાધનો વડે ચાંપતી નજર છતાં કટ્ટરવાદીઓ તેમના મેલા મનસૂબા પાર પાડવામાં ફાવી જાય છે. કેમ? આ પ્રશ્ન એવો છે જેનો જવાબ શોધવા માટે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી.
લોહપુરુષ સરદાર પટેલે નિહાળેલું નર્મદા બંધ નિર્માણનું સ્વપ્ન સાત દસકા બાદ સાકાર થયું છે. સરદાર સરોવર નર્મદા બંધ માત્ર ગુજરાતને જ નહીં, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રને પણ અનેકાનેક લાભ આપશે. પીવાના અને સિંચાઇના પાણીની સાથે સાથે વીજળીનું પણ ઉત્પાદન થશે. ગુજરાત માટે જીવાદોરીસમાન નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું રાષ્ટ્રાર્પણ કર્યું તે પળને ઐતિહાસિક જ ગણવી રહી. વારંવાર દુષ્કાળનો ભોગ બનતા ગુજરાતમાં પાણીની કારમી તંગી ભૂતકાળ બનશે જ સાથોસાથ નર્મદાની જળ-રાશિ રાજ્યના વિકાસની નવી ભાગ્યરેખા બનશે.
ભારતમાં ગૌરક્ષાના નામે વધી રહેલી હિંસાને અટકાવવા માટે આખરે સુપ્રીમ કોર્ટને જ આગળ આવવું પડ્યું છે. મતલબ કે કાયદો-વ્યવસ્થાની જાળવણીનું જે કામ સરકારી તંત્રે કરવાનું હતું તેના માટે પણ દેશની સર્વોચ્ચ અદાલતે જ આદેશ આપવો પડ્યો છે. કહેવાતા ગૌરક્ષકો દ્વારા આચરાતી હિંસા રોકવા માટે કોર્ટે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની સૂચના આપી છે. કોર્ટે ભલે સરકારને કાયદો હાથમાં લઇ રહેલા કથિત ગૌરક્ષકોના મુદ્દે ચોક્કસ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોય, પરંતુ અન્ય મુદ્દે પણ લોકોને કાયદો હાથમાં લેવાનો અધિકાર શા માટે મળવો જોઇએ? ગૌરક્ષાના નામે થઇ રહેલી હિંસાની ઘટનાઓમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. ગૌવંશના પશુઓની ચોરી અગાઉ પણ થતી હતી, અગાઉ પણ લોકો પકડાતા પણ હતા, પરંતુ હવે કથિત ગૌરક્ષકો સમગ્ર દેશમાં સક્રિય થઇ ગયા છે. ગૌરક્ષાના નામે હિંસા આચરતી આ ટોળાશાહી હાથ લાગ્યું તે હથિયારનો ઉપયોગ કરીને આરોપીને મારી-મારીને મોતને ઘાટ ઉતારી દે છે.
ચીનના યજમાનપદે યોજાયેલી ‘બ્રિક્સ’ સમિટમાં ત્રાસવાદ મુદ્દે ધાર્યું રાજદ્વારી લક્ષ્ય પાર પાડનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મ્યાનમાર પ્રવાસ ભલે અખબારોની હેડલાઇનમાં ચમક્યો ન હોય, પણ તેનું મહત્ત્વ લેશમાત્ર ઓછું આંકી શકાય તેમ નથી. ભારત-મ્યાનમાર ૧૬૦૦ કિલોમીટર કરતાં પણ વધુ લાંબી સરહદથી જોડાયેલાં છે. મ્યાનમારમાં લોકતંત્રની સ્થાપના બાદ ભારતના વડા પ્રધાનનો આ પ્રથમ પ્રવાસ હતો.
ચીનના યજમાનપદે યોજાયેલા ‘બ્રિક્સ’ દેશોના નવમા શિખર સંમેલનમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા હાંસલ કરી છે. બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશોના બનેલા આ સંગઠનના ઘોષણાપત્રમાં પહેલી વખત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નામ સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ‘બ્રિક્સ’ના તમામ સભ્ય દેશોએ આતંકવાદના જુદા જુદા સ્વરૂપોની આકરા શબ્દોમાં ટીકા કરતાં માત્ર આતંકવાદીઓને જ નહીં, પરંતુ તેમને પોષનારાઓ અને સમર્થકોને પણ કોઇ પણ આતંકવાદી ઘટના માટે સમાન હિસ્સે જવાબદાર માનવાની વાત કરી છે.
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ છેવટે રવિવારે મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ જ ગયું. કોઇનું કદ વેતરાયું, કોઇનું પત્તું કપાયું તો વળી કેટલાકનું કદ વધ્યું પણ ખરું. બધું નરેન્દ્ર મોદી સ્ટાઇલમાં થયું! પ્રધાનમંડળમાં સંભવિત ફેરફારો સંદર્ભે બહુ ઓછા અખબારી પૂર્વાનુમાન સાચા પડ્યા છે. વડા પ્રધાન મોદીએ તેમની કેબિનેટમાં ૯ નવા ચહેરાને સ્થાન આપવાની સાથોસાથ ૪ પ્રધાનોને પ્રમોશન પણ આપ્યું છે. આ સાથે જ તેમણે સાથીદારોના મંત્રાલયોમાં નોંધનીય ફેરફાર પણ કર્યા છે.
ભારતભરમાં લોકો ગણેશ ચતુર્થી પર્વ ઉજવી રહ્યા હતા ત્યારે હરિયાણાનું પંચકૂલા ભડકે બળી રહ્યું હતું. એક (અ)‘ધર્મગુરુ’ નામે બાબા રામ રહીમ સિંહને હાઇ કોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠરાવતા તેમના હજારો અનુયાયીઓ રસ્તાઓ પર ફરી વળ્યા હતા. અનેક દુકાનો-ઇમારતોમાં તોડફોડ કરી, સેંકડો વાહનોને આગ ચાંપી, પથ્થરમારો કર્યો. વિરોધ પંચકૂલા પૂરતો સીમિત નહોતો, રાજ્યના અન્ય ભાગ ઉપરાંત પંજાબ, દિલ્હી-ઉત્તર પ્રદેશમાં પણ હિંસક વિરોધની ઘટનાઓ બની. ડેરા સચ્ચા સૌદાના વડા બાબા રામ રહીમના સમર્થકોએ કરેલા હિંસક તોફાનોને હરિયાણા સરકાર અને વહીવટી તંત્રના મોં પર તમાચા સમાન ગણી શકાય કેમ કે હિંસાની આશંકા છતાં તેઓ પગલાં લેવામાં ઊણા ઉતર્યા. ૩૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઇજાગ્રસ્ત થયા. અબજો રૂપિયાની માલમિલકતને નુકસાન થયું. ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓએ માફિયાઓને પણ સારા કહેવડાવે તે પ્રકારે જનજીવનને બાનમાં લઇને આતંક ફેલાવ્યો હતો. સમગ્ર ઘટના સાથે કંઇકેટલાય એવા સવાલો સંકળાયેલા છે જે આજેય અનુત્તર છે. જો હિંસક વિરોધ પ્રદર્શનની આશંકા હતી તો હજારો લોકોને પંચકૂલામાં એકત્ર થતા કેમ અટકાવાયા નહીં? ગુપ્તચર વિભાગ કેમ ઊંઘતો રહ્યો? મુખ્ય પ્રધાનથી લઇને રાજ્યના પોલીસ વડા સ્થિતિ અંકુશમાં લેવા માટે તંત્ર સજ્જ હોવાના દાવા કેમ કરતા રહ્યા? પોતાને ‘ભગવાનના દૂત’ ગણાવતી એક વ્યક્તિએ આચરેલા ગુનાઓની સજા લાખો લોકોને કેમ ભોગવવી પડી? બળાત્કાર જેવા ગંભીર કેસમાં દોષિત ઠરેલા ડેરા પ્રમુખ આટલા શક્તિશાળી કઇ રીતે બન્યા..?
ભારતમાં રાજકીય નેતાઓનું એક અને એકમાત્ર લક્ષ્ય સત્તા પર કબ્જો જમાવવાનું હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે તામિલનાડુમાં સત્તાધારી અન્ના દ્રમુકના બે (કટ્ટર વિરોધી) જૂથ આખરે એક થઇ ગયા છે. જયલલિતાના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારી બનીને મુખ્ય પ્રધાન પદ સંભાળનાર ઓ. પન્નીરસેલ્વમે એક જમાનામાં જયલલિતાના સખી રહેલા શશિકલાના વિશ્વાસુ સાથીદાર મુખ્ય પ્રધાન પલનીસ્વામી સાથે હાથ મિલાવ્યા છે. બન્ને દુશ્મન દોસ્ત થઇ ગયા છે અને હવે જેલમાં કેદ શશિકલાને પક્ષના મહાસચિવ પદેથી હટાવવાનો કારસો પણ ઘડી નાખ્યો છે.
ભારત-ચીન વચ્ચે સિક્કીમની ડોકલામ સરહદે છેલ્લા બે મહિનાથી પ્રવર્તી રહેલો તણાવ વકર્યો છે. ૧૫ ઓગસ્ટે એક તરફ ભારતભરમાં ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ લદ્દાખમાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી. બેનર ડ્રીલ નામની રોજિંદી કવાયત દરમિયાન ચીની સૈનિકોએ ભારતીય જવાનો પર પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. બન્ને દેશના સૈનિકોએ એકબીજા પર પથ્થરમારો કર્યાના તેમજ એકમેકને બંદૂકના બટ પણ માર્યા હોવાના અહેવાલ છે. લદ્દાખના પેનગોંગ લેક વિસ્તારમાં આ ઘટના બની હતી અને ભારત-ચીનના સૈનિકો વચ્ચે લગભગ એક કલાક સુધી છૂટા હાથની મારામારી થઇ હતી. છેવટે ભારતીય જવાનોએ સ્થાનિક લોકોની મદદથી ચીની જવાનોને ખદેડ્યા હતા.
