ભારતના ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પર કાળી ટીલી લાગી ગઈ છે. એક તરફ પ્રજાસત્તાક દિનની પરેડનું ગૌરવ હતું તો બીજી તરફ, કૃષિ કાયદાઓ રદ કરાવવા આંદોલન ચલાવી રહેલા ખેડુતોએ રાજધાની નવી દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાથી આગળ વધીને બળજબરીપૂર્વક ઐતિહાસિક લાલ કિલ્લા પર કબજો જમાવી લીધો હતો. હિંસા નહિ થાય અને નિશ્ચિત માર્ગો પર થઈને જ રેલી નીકળશે તેવી ખેડૂતનેતાઓ દ્વારા અપાયેલી ખાતરીનો સરેઆમ ભંગ થયો છે.
તંત્રીલેખ
Block: Site: Subtree Block
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે આર્થિક મંદી અનુભવાઈ રહી છે ત્યારે ભારતના અંદાજપત્રમાં દેખીતા વિકાસના બદલે લોકહિતના પગલાં વધુ લેવાશે તેવી આશા સફળ થઈ નથી. લોકોના દિલોદિમાગમાં અત્યાર સુધી બજેટ એટલે કરવેરા અને રાહતોની ભરમાર, એવી જ ગ્રંથિ બંધાયેલી હતી તેને આ બજેટથી દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં ખર્ચાના વધારાથી ઉદ્યોગોને પણ લાભ થશે અને રોજગારીનું પણ સર્જન થશે તેવી આશા ખોટી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવા સરકારને બજારમાંથી મોટા પાયે નાણા એકત્ર કરવા પડશે પરિણામે રાજકોષીય ખાધ વધી જશે. જોકે, માળખાકીય વિકાસના કારણે લાભ તો રહેવાનો જ છે.
યુકેએ યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈ કે નહિ તે મુદ્દે ડેવિડ કેમરને ૨૦૧૬માં લીધેલો ઈયુ રેફરન્ડમ હજુ પણ ગળામાં ફસાયેલા હાડકા સમાન બની રહ્યો છે. આખરે બ્રેક્ઝિટ તો થયું પણ વેપારસોદા માટે ઘણી માથાકૂટ પણ થઈ. આનુ કારણ એક જ કહી શકાય કે યુરોપીય દેશો ખરેખર તો બ્રિટનની ભાવિ આર્થિક તાકાતની સંભાવનાથી ગભરાઈ રહ્યાં છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયર તૂટવાના કારણે સર્જાયેલી ભારે તારાજીએ અનેક પ્રશ્નો પણ સર્જ્યા છે. ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિ ગંગા નદીમાં અચાનક ધસમસતા પ્રવાહ સાથે આવેલા પૂરથી તેના માર્ગમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિત જે પણ આવ્યું તેનો વિનાશ થયો છે.
દુનિયામાં લોકશાહીના છોડને ઉછેરી વટવૃક્ષ બનાવવાનું કાર્ય જરા પણ સહેલું નથી. ભારતની પડોશના રાષ્ટ્ર મ્યાંમાર અથવા બર્મા કે બ્રહ્મદેશમાં લોકશાહીની કૂંપળોને કચડી નાખી સેનાએ સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે. વિશ્વભરમાં આ સૈન્ય બળવાની ભારે ટીકા થઈ છે કારણકે પાંચ દાયકા લાંબા લશ્કરી શાસન પછી ૨૦૧૦માં જ લોકશાહીની સ્થાપના થઇ શકી હતી. એક દાયકામાં જ સૈન્ય દ્વારા સત્તાપલટો થતાં મ્યાંમારમાં ફરી અશાંતિની જવાળાઓ ભભૂકતી થાય તેવી આશંકા અસ્થાને નથી. મ્યાંમારના સન્માનીય અને લોકશાહીવાદી નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિન્ટ સહિત નેતાઓની ધરપકડના પગલે દેશમાં એક વર્ષની કટોકટી પણ લાદી દેવાઈ છે.
સામાન્ય નાગરિક કોઇ પણ સિસ્ટમ વિરુદ્ધ બળાપો કાઢે ત્યારે લોકો બહુ ગણકારતા નથી, રાજકારણી ભારતની બંધારણીય સિસ્ટમ વિરુદ્ધ બોલે તો સ્વાભાવિક રીતે જ રાજકીય લાભ માટેના નિવેદનોમાં ખપાવી દેવાય છે પરંતુ, કોઇ બંધારણીય સત્તા ભોગવી ચૂકેલો ચહેરો દેશની સિસ્ટમ સામે પ્રશ્નો ઉભા કરે ત્યારે ખરેખર આઘાત લાગે છે.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા દસ મહિનાથી લડાખના પેન્ગોંગ વિસ્તારમાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી રહ્યો હોવાના સંકેતરુપે ચીનનું લશ્કર આ વિસ્તારમાંથી પાછું હઠી રહ્યું છે. એ ધ્યાનમાં રાખવું જોઈશે કે ચીને ૪૮ કલાકના ટૂંકા સમયમાં જ ૨૦૦થી વધારે કદાવર ટેન્ક પેન્ગોંગના કાંઠેથી હટાવી લેવાં ઉપરાંત, ઉત્તર કાંઠે ખડકાયેલા સૈનિકોને પરત લઈ જવા માટે સંખ્યાબંધ લશ્કરી વાહનો પણ તૈનાત કરી દીધા હતા. થોડા મહિના પહેલા પૂર્વ લડાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણમાં ૨૦ ભારતીય જવાનોએ શહીદી વહોર્યા પછી બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોચી ગયો હતો. હવે ભારત અને ચીન એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિને લાગુ કરવા માટે રાજી થઇ ગયા છે. જે કામચલાઉ બાંધકામો કરાયા છે તેને પણ દૂર કરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની વાતચીતના નવમા દોર પછી સેન્યો પરત ખેંચવા થયેલી સમજૂતી પર અમલ શરુ થઇ ગયો છે.
બંધારણીય રાજાશાહી કમ લોકશાહી વ્યવસ્થા ધરાવતા બ્રિટનમાં શાહી પરિવારમાં સર્જાયેલા વિવાદે નવા પ્રશ્નો ખડા કર્યા છે. આમ તો કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે. પરંતુ, બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે તેમના પૌત્ર પ્રિન્સ હેરીએ શાહી પરિવારની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું વર્તન કર્યું હોવાની ભારે વ્યથા સર્જી છે. બ્રિટનનું કોઈ લેખિત બંધારણ નથી પરંતુ, પરંપરા અને મૂલ્યોનું જતન કરવાની વિશેષતા છે.
૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. એક રીતે જોઈએ તો માનવીનો જન્મ થાય ત્યારે તેની રોવાની ભાષા સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ હોય છે પરંતુ, ઉછેર અને સહવાસ થકી તેની ભાષાનો વિકાસ થાય છે. એમ કહેવાય છે કે માનવી કદી માતૃભાષાને ભૂલતો નથી. પીડા કે દુઃખ અથવા શોક કે આઘાત દર્શાવવાનો હોય ત્યારે તે માતૃભાષામાં જ વ્યક્ત થાય છે.
ગત ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નવસર્જિત ક્રિકેટ સ્ટેડિયમે નવો ઈતિહાસ રચી દીધો. એક તો આ સ્ટેડિયમને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ અપાયું અને પાંચ દિવસ રમાતી ટેસ્ટ મેચનું માત્ર બે દિવસમાં પીંડલું વળી ગયું. ઘણા લોકોને તો ગમ્મત થઈ કે મોદીનું નામ અપાયું તો ઈંગ્લેન્ડની ટીમે જાણે શરણાગતિ જ સ્વીકારી લીધી. રમૂજને બાજુએ રાખીએ તો સામાન્ય લોકો માટે મોટેરા સ્ટેડિયમ અથવા સરદાર પટેલ સ્ટેડિયમ તરીકેની ઓળખ ધરાવતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાયું તેની સાથે મોટા ભાગના લોકો સહમત જણાતા નથી. સરદાર પટેલને આ રીતે સાઈડલાઈન કરાયા હોવાનો વિવાદ પણ સર્જાયો છે.
