નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળનાં નવ વર્ષ 30 મેના રોજ પૂરાં થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેઓ પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરશે. ત્યાર પછી ભાજપ દરેક રાજ્યમાં એક મહિના સુધી મોદી સરકારની ઉપલબ્ધિ ઘેર ઘેર પહોંચાડશે. 30 કે 31 મેએ વડા પ્રધાન મોદીની જંગી સભા સાથે આ અભિયાનની શરૂઆત થશે. 23 જૂને પ્રધાનમંત્રી પક્ષના 10 લાખ બૂથ કાર્યકરો સાથે પણ સંવાદ કરશે. પક્ષ એક મહિનાથી આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી રહ્યો છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, મોદી સરકારની ઉપલબ્ધિને દેશના ખૂણેખૂણે પહોંચાડાશે. ભાજપના એક મહાસચિવના કહેવા પ્રમાણે વડા પ્રધાનની રેલી પહેલાં એક મહિના દરમિયાન દરેક રાજ્યમાં પત્રકાર પરિષદ, પ્રદેશના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર સાથે ચર્ચા જેવા કાર્યક્રમ કરાશે. 1થી 22 જૂન વચ્ચે દરેક લોકસભા વિસ્તારમાં 250 વિશિષ્ટ પરિવારો સાથે સંપર્ક કરાશે. તેમાં શહીદો, ખેલાડીઓ, કલાકારોના પરિવારો સામેલ હશે. પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા 51 રેલી તથા 296 લોકસભા સ્તરની જનસભા હશે.